એક મૂળાક્ષરમાંથી વેદનાને ધ્વનિમૂક્ત કરી તેનું અનેક સ્તરે સ્વરુપાંતર(મેટામોરફોસ) તાગતો પોલીશ કવિ,ઝ્બીગન્યેફ હેરબર્ટ,(૧૯૫૬-૧૯૯૮), દંતકથાઓમાં ગઠ્ઠો થયેલી વાર્તાઓ ફરીથી કહેતો નથી. પણ એમાંથી માનવ અને અમાનવ કથન ( કાલ્પનિક શબ્દભાર!), વેદના અને સર્જન, કળા અને સહાનુભૂતિ, પ્રેમ અને અણગમા, વિષયક પ્રશ્નો પૂછી આપ્ણી સમકાલિનતા કે ઐતિહાસિકતા વચ્ચે ઉદભવેલા સંબંધોની ફેરતપાસ કરે છે, છણાવટ કરે છે.આપણી આધૂનિકતાને ભૂતકાળમાં મર્યાદિત કરી, સાંપ્રત વાસ્તવિક્તા અને સંદિગ્ધતાને વધારે કેન્દ્રિત કરી માણસ હોવાની આપણી-ખાસ કરીને રાજકિય નિષ્ફળતા સાથે અથાડી આપે છે. કદાચ એટલેજ પેલો માર્સિયાસ કોઇનો આશ્રિત ( માનવ કે પ્રાણી ) મટી છેવટે પારદર્શક નદિમાં પરિણમે છે.
અહીં પાઉલ સેલાનની” મૂળાક્ષરી વેદના”( the syllable pain-૧૯૬૧) યાદ આવે છે.જ્યાં કવિ અનેક શબ્દ-ધ્વનિના અસ્ખલિત ઉચ્ચર અને ઉત્પત્તિ વિષયક અસ્ફૂટ વેદના વચ્ચે તીવ્રતા કે તાણ રચી આપે છે.
ભાષાકર્મમાં જેમની સંદિગ્ધતાનું ફલક વિસ્તરેલું છે, તેવા આ કવિઅઓ કેવળ ચિત્કાર નથી , પણ આપણા ભય, આશ્ચર્યથી ઉદભવેલી સ્તબ્ધતા(જડતા )નું ચિત્રાંકન છે.આદમ ઝાગઝેવસ્કી કહે છે તેમ દરેક યુગવર્તિ કવિ બે સ્તરે( કે વિશ્વમાં) જીવે છે. એક વાસ્તવિક-ઇતિહાસનું સ્પર્શક્ષમ- કોઇ માટે નીજી તો બીજાઓ માટે જાહેર.અને બીજું વિશ્વ (કે સ્તર) સ્વપ્ન, કલ્પના.દિવાસ્વપ્નના ગીચ પડથી બનેલું છે. યુગવર્તિ સર્જકનું અગાધ રહસ્ય આ બે વિશ્વ વચ્ચે વ્યાપ્ત છે.
લોહી વેચી(આ હકિકત છે) ટકી રહેલા આ કવિના કદાચ દરેક કાવ્ય હોવની વેદનાનું ભૂલહીન રુપક છે. એટલે તો એમના કાવ્યોમાં બે અસ્તિત્વમૂલક મૂલ્યો સતત ડોકાયા કરે છે; યુધ્ધમાં હોવું અને પછી એનાથી દૂર (અજ્ઞાત!!) રહેવાની મથામણ.પાઉલ સેલાન અને પોલેન્ડમાં યુધ્ધકાળના યુવાન કવિઓ બળબળતા રુપકોથી તરબોળ હતા, ભાષા અતિશય વક્રોક્ત થઈ જાય છે.વેધક અને જોસ્સો ભરેલી.આને કારણે ક્યારેક ભાષા અને કવિતા obvious થઈ જાય છે, જેમ અતિલા યોસેફ,ચેરિલ અન્વાર ( ઇન્ડોનિશિયા)કે લીવી(ઈટલી)માં વાંચવા મળે છે. કદાચ એમની મનસિક અને શારીરિક વેદનાને કારણે એ બન્યુ હશે.જ્યારે ઝ્બીગ્ન્યેફના કાવ્યોમાં યુધ્ધકાળનો ભય કે ચીતરી “ચોકકસ અંતર”રાખી ફેરતપાસ કરાયા છે.શ્રીમાન કોગિતો( આ સંદર્ભે ગુજરાતીમાં ડૉ.સિતાંશુ મહેતાના મગન કાવ્યો,કે કમલેશ શાહના ચમન કાવ્યો, કે લા.ઠા.ના લઘરો કાવ્ય ફરીથી તપાસાવા જોઈએ, તો એક યુગવર્તિ કવિ અને કેટલાંક સ્થાનિક કવિઓના કવિકર્મ અને ભાષાકર્મનો તુલનાત્મક અભ્યાસ મળશે.)ભયની હિણપત પરિસ્થિતિમાં પણ મર્માળા હસ્યથી સ્પર્શાયેલો છે.
આ કાવ્યો આવા અનેક કારણોસર વિસમી સદીની વેદના છે, મનુષ્યની હિંસાત્મક વૄત્તિનો આત્મસ્વિકાર અને ચિતાર બન્નેવ છે.એક્બીજાને અવશ્ય સૂચવતી બે વસ્તુઓ કે શબ્દમાંથી ઉદભવેલા સંદર્ભો છે.માણસ હોવું અને અમાનવ હોવું એ સ્વરુપાંતર છે,ઝ્બીગ્ન્યેફ એ સ્વરુપાંતરનો કવિ છે.
૧)
શું થશે
જ્યારે હાથ
કવિતામાંથી ખરી પડશે
જ્યારે અન્ય ડૂંગરોમાં
હું સુકુ પાણી પીશ
એ મહ્ત્વનું નથી
ના, પણ છે
શું થશે કવિતાનું
જ્યારે સ્વાસ તૂટશે
અને વાણી સહજતા
અમાન્ય કરશે
હું ટેબલ છોડી
ઊતરી જઇશ ખીણોમાં
જ્યાં ગૂઢ જંગલો નજીક
નવું હાસ્ય પડઘાયા કરે
૧૨-૧૧-૨૦૦૯
૨) વૄધ્ધ પ્રોમિથીયુસ
એ લખે છે એના સંસ્મરણો. જેમાં જરુરિયાતના તંત્રમાં એના નાયકનું સ્થાન સમજાવવા ,તથ અસ્તિત્વ અને નિયતિની અન્યોન્ય વિસંગતિનો સૂમેળ સાધવા પ્રયત્ન કરે છે.
અગ્નિ ચૂલામાં તડતડે; રસોડામાં એની પત્નિ ઘઈ કરે-ઉતાવળી છોરી જેણે કદિ વંશવૄધ્ધિ કરી નહી પણ પોતાને આશ્વાસન આપ્તીકે એ ઇતિહાસમાં યેનકેન સ્થાન પામશે. જમણવારની તૈયારી થઇ ગઇ હતી,જેમાં સ્થનિક પાદરીને આમંત્રણ હતું , ઉપરાંત ફાર્માસિસ્ટ પણ, જે હવે પ્રોમિથીયુસનો ગાઢ મિત્ર હતો.
અગ્નિ ચૂલામાં ભડભડતો હતો.ભીંત પર ભરેલું ગરુડ અને સરમુખત્યાર કોકસસનો કૄતજ્ઞતા ભર્યો પત્ર, જે બળવાખોર શહેર બાળી નાખવામાં સફળ થયો હતો. આભાર પ્રોમિથીયુસની શોધખોળનો.
પ્રોમિથીયુસ* ગલોફામાં હસ્યો. વિશ્વ સાથેનો ઝઘડો અભિવ્યક્ત કરવાની એ એક માત્ર રીત હતી.
૧૨-૧૧-૨૦૦૯
*ગ્રીક દંતકથાનો ગૌણ દેવતા જેને સ્વર્ગમાંથી માનવજાતના લાભાર્થે અગ્નિ ચોરવા બદલ ઝીયુસે સજા કરી હતી, ખડક સાથે બાંધી દેવાની કે જ્યાં ગીધ રોજ આવીને તેનુ યકૄત ખઈ જાય અને રોજ રાત્રે ફરીથી નવું બની જાય.
અનુ. હિમાન્શુ પટેલ
Read Full Post »